ચીનમાં રહસ્યમયી બિમારી, ગુજરાત સરકાર પણ સતર્ક બની, સૌથી વધુ બાળકો બની રહ્યા છે શિકાર, હોસ્પીટલોમાં ઓક્સિજન સહિતની સુવિધા પર વિશેષ ધ્યાન
- 28 Nov, 2023
ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક બની છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીયઆરોગ્ય મંત્રાલયની સુચના બાદ રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે. મહત્વનું છે કે, હાલ દેશમાં આ રોગથી કોઈ ખતરો નથી છતા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. રાજ્ય સરકારે હોસ્પિટલમાં જરુરી બેડ, દવાઓ, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સુચના આપી છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું છે. શ્વાસની બિમારીને લઈ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા કહ્યું હતું.
આ દરમિયાન હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જેમાં જરૂરી બેડ, દવાઓ અને ઓક્સિજન સહિતની સામગ્રી તૈયાર રાખવા સૂચના અપાઈ છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું તો તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું ઓડિટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે વેન્ટિલેટર, PPE કીટનો સ્ટોક ઉપલબ્ધ રાખવા સૂચના પણ અપાઈ છે. . ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં આ બીમારીથી હજુ સુધી કોઈ મૃત્યું નોંધાયું નથી.
ગુજરાત કે ભારતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોવિડ સમયે સૌ કોઈ ડરી ગયા છતાં આપત્તતિમાંથી નીકળી ગયા છે. ફરીથી કોઈ આવી આપત્તિ આવે તેમ લાગતું નથી. આપત્તિ આવશે તો પણ એનો સામનો કરવા આપણે સૌ સજ્જ છીએ. ચીનમાં વધુ એક રહસ્યમય બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે.
તેવામાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. બીજી તરફ ભારત સરકાર પણ આ મામલે અત્યારથી જ સતર્કતા દાખવી રહી છે અને આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.